જૂની ડાયરી(The old diary)
![](https://preranadave.com/wp-content/uploads/2023/09/જૂની-ડાયરી.jpg)
લખવાનો શોખ થયેલો મને ! અને પછી રોજે લખતી! બાળપણમાં માર્ક ઓછા આવવાના વસવસાથી લઈને , તરુણાવસ્થામાં આવતા સાહજિક બદલાવો અને યુવાનીમાં થઈ ગયેલ કેટકેટલાય ખાટા મીઠા અનુભવોમાંથી જન્મેલી દુનિયાદારીની સમજણો.. આ સઘળી સફરની સાક્ષી એકમાત્ર એ જૂની ડાયરી પુરે છે!
પાછું વળીને જરાક થોભીને જોઈએ તો એમ થાય કે ડાયરીમાં છઠ્ઠા પાના પર લખેલા બધા જ ધ્યેયો(ગોલ) માંથી કદાચ બધા જ બહુ અસરકારક રીતે પૂરા થઈ ગયા અને નવા કેટલાય આવ્યા પણ ખરા! છતાંય હદયના કોઈક ખૂણે એવું થાય કે – એ જૂની ડાયરીમાં જૂની જાતથી લખાયેલ ગોલ કેટલા નિસ્વાર્થ અને સ્વયંસ્ફુરિત હતા!
ખરેખર શોખ પણ આઠમી અજાયબી જેવા અવનવા!
સાવ નાની નાની વાતમાંથી મળતી બહુ મોટી ખુશીઓ! અને મોટી મોટી મુશ્કેલીઓ સામે ઝઝૂમવા છતાંય અડીખમ ઉભુ રહેલું જીવંત વ્યક્તિત્વ એ પણ પોતાનું જ! આમ ક્યારેય તો પોતે જ પોતાનો આદર્શ બની જવાય. ત્યારે શંકરાચાર્યની ફિલસૂફીનો સળવળાટ ( શિવોહમ્ શિવોહમ્) હદયમાં થાય. ક્યારેક પોતાને ભૂલી જવાય કે પછી ફરીથી પોતાને મળવાનું મન થાય ત્યારે જૂની ડાયરીમાં જરૂર ડોકિયું કરવું જ પડે અને કંઇક એ રીતે જાણે જાતને ફાંફોસવી પડે!
અને જ્યારે આવું થાય ત્યારે એ કઈ સાહસભર્યા એક રોમાંચક સફરથી ઓછું નથી હોતું કઈ!
કોઈક પાના પર જીવનની ભૂલોનું સરનામું મળે તો કોઈક પાનું ખોલતા સાવ એવા અજાણ્યા સરનામે પહોંચી જવાય જે ક્યારેય સાવ આપણું પોતીકું હતું! ક્યારેય કોઈ પાનું ખોલતા વળી ખુશીનો ઉમળકો આવી જાય તો ક્યારેક સાવ રૂઝાઈ ગયેલા ઝખ્મો ફરીથી ના ઇચ્છતા હોવ છતાં અડાઈ જાય ને કણસી જવાય!
ક્યારેક કોઈ પાના પર પહોંચીને કશું ના કર્યા વગર જ પ્રશ્નોના જવાબો મળી ગયાનો અહેસાસ થાય તો વળી ક્યારેક યુધિષ્ઠિર બનીને કેટલાય યક્ષપ્રશ્ન ના જવાબ શોધતા હાફે ચડેલ હદયને મૃગજળની તરસનું રહસ્ય પણ ના સમજાય!
ડાયરી સાથે વાત કરતા કરતા આજે એક વાત જાણવા મળી! એકવાર કાચનો કપ ફોડીને એનો લાઈવ અવાજ મોબાઈલમાં કેદ કરવાનું મન/શોખ થયેલો અને એકવાર તો કાચનું વાસણ ગેસ પર મૂકતા કેવી રીતે ફાટી પડે છે એ જોવાનું મન/શોખ થયેલ અને કર્યું પણ ખરા! એ પછી મમ્મીએ જામનગર હોસ્પિટલમાં ભરતી કરવા કેવા અને કેટલા પ્રયત્નો કર્યા એનું વિસ્તૃત વર્ણન કરવું યોગ્ય નથી લાગતું..
સાહજિક રીતે હસવું આવે એવી વાત જ છે પણ કદાચ આવા શોખ અત્યારના શોખ ( પોતાની ગાડી , પોતાનો બંગલો , પોતાનું નામ , સ્વતંત્રતા ) કરતા તો સારા નહિ પણ હું એમ કહીશ કે કદાચ અધ્યાત્મિક હતા! ખરું ને!?
સ્વને ખુશ રાખવા અને કરવા જરાય ખચકાટ નહોતો અનુભવાતો..
ડાયરીમાં ત્યારે સાહજિક રીતે કૃષ્ણનો વાસ થતો હતો એવું લાગે છે આજે! કારણકે કૃષ્ણજીવનનો નિચોડ જ એ છે કે – એક સ્વતંત્ર વ્યક્તિ જ બીજાને સ્વતંત્ર કરી શકે એમ એક ખુશ વ્યક્તિ જ બીજાને ખરા અર્થમાં કાયમી ખુશ કરી શકતી હોય છે!
જૂની ડાયરીમાં ડોકિયું કરતાં આજે એટલું સમજાય છે કે બદલાવો અને પરિવર્તન જીવનનો નિયમ છે કયો બદલાવ સારો કયો ખરાબ એ આપણે ક્યારેક નક્કી કરી શકતા નથી અને એ નક્કી કરવાનો હક કદાચ આપણો છે પણ નહિ! ( कर्मणयेवाधिकारस्ते मा फलेसू कदाचन)
નાના હોઈ ત્યારે રમતો રમતા હોય , – ચલકચલાણું ઓલે ઘેર ભાણું , ચલકચલાણું ઓલે ઘેર ભાણું અને પછી મોટા થતાં એવી ફિલસૂફી સમજાઈ આવે કે આ જીવન પણ એક રમત જ છે અને પછી આ રમત ને જિવવા કરતાય વધારે શીખવાની તાલાવેલી જાગે અને પછી જેમ શ્રી કૃષ્ણ ને મોરપીંછ હડસેલી ને મુકુટ ધર્યા પછી જે અસમંજસ શરૂ થઈ હતી એવી જ અસમંજસ શરૂ થઈ જાય.
આ બધી માથાકૂટમાં હું ય પડી. અને આપણે બધા પડ્યા હશું ! અને એમાં વાંધો પણ શુ છે? તરતા શીખવા માટે પાણીમાં પડવું પણ જોઈએ. ઘણી વાર ઊંડાઈનું માપ કાઢવા તો ઘણી વાર ડૂબવા પણ! ઘણી વાર પોતાની તો ઘણીવાર બીજાની જાત ને તારવા પણ!
પરંતુ ઘણીવાર જ્યારે ડૂબી ગયા પછી બહાર નીકળી ના શકતા હોય ત્યારે જુની ડાયરીમાં જ ગરકાવ કરવો! ઘણું મળશે! કાદવમાં પગ લસરી પણ જશે ! છતાંય મરજીવા બનીને સફર ખેડીએ તો મોતી પણ મળશે જ!
આપણે સૌ ખૂબ લખીએ , નવી ડાયરીઓ , પુસ્તકો લખીએ પણ જૂની ડાયરી જેણે કદાચ કલમ પકડતા શીખવ્યું હશે આપણને એને પણ સથવારે રાખીએ , ભૂલી ના જઈએ એવી શુભકમનાઓ સહ…